

રાજકોટ: આમ આદમી પાર્ટી (AAP)ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ આજે રાજકોટની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ભાજપ સરકાર પર અનેક મુદ્દાઓ પર આકરા પ્રહારો કર્યા. ખાસ કરીને વિદ્યાર્થીઓ, યુવાનો અને ખેડૂતોના પ્રશ્નોને લઈને તેમણે સરકારની નિષ્ફળતા અંગે ટીકા કરી. ગઢવીએ યુવાનોને નવા રાજકારણનો પાયો નાખવા માટે અપીલ કરી.
“હેલ્મેટ અને રસ્તાઓના મુદ્દે સરકાર પર નિશાન”
રાજકોટમાં ચાલી રહેલા હેલ્મેટ કાયદા અને રસ્તા પરના ખાડાઓના વિવાદ પર પણ ગઢવીએ પ્રતિક્રિયા આપી. તેમણે સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, પ્રજાને કાયદાઓનું પાલન કરવા દબાણ કરવામાં આવે છે, પરંતુ સરકાર પોતે પોતાની ફરજ બજાવવામાં નિષ્ફળ રહી છે. તેમણે વ્યંગ કરતા કહ્યું કે, “જ્યારે રસ્તા પર ખાડા પડે, ત્યારે મુખ્યમંત્રી અને ખાડા મંત્રીએ રાજીનામું આપવું જોઈએ.” ગઢવીએ એવું પણ કહ્યું કે, શહેરના રસ્તાઓ પર 40-50ની ઝડપે હેલ્મેટની કોઈ જરૂર નથી અને હેલ્મેટ કરતાં તો ખાડાઓને કારણે વધુ લોકોના જીવ જોખમમાં છે.
“ખેડૂતોની સમસ્યાઓ પર આલોચના”
ખેડૂતોના મુદ્દે પણ ગઢવીએ ભાજપ સરકારની આલોચના કરી. તેમણે જણાવ્યું કે, આ વર્ષે ઓછા વરસાદને કારણે ખેડૂતોની હાલત અત્યંત ખરાબ છે, તેમ છતાં સરકાર દ્વારા તેમને કોઈ મદદ મળી રહી નથી. આ નિવેદનોથી તેમણે ખેડૂતોની વેદનાને વાચા આપી.