

પંચમહાલ: પંચમહાલ જિલ્લાના રણજિતનગર ગામમાં આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ કંપની (GFL) માં એક ગંભીર ઘટના બની છે. કંપનીમાં અચાનક ઝેરી ગેસ લીક થતા સ્થળ પર કામ કરી રહેલા 12 જેટલા કામદારોને તેની અસર થઈ હતી. આ તમામને તાત્કાલિક હાલોલની વિવિધ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન આ 12 અસરગ્રસ્ત કામદારોમાંથી એકનું દુઃખદ અવસાન થયું છે, જ્યારે અન્યની સારવાર ચાલી રહી છે.
શરૂઆતમાં આ ઘટના અંગે બોઈલર ફાટ્યા બાદ ગેસ લીકેજ થયો હોવાના સમાચાર સામે આવ્યા હતા, જેના કારણે વાતાવરણમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે, જિલ્લા પોલીસ અધિક્ષકે આ વાતને નકારી કાઢીને માત્ર ગેસ ગળતરની ઘટના બની હોવાનું સ્પષ્ટ કર્યું છે. આ ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ દુર્ઘટનાએ કંપનીની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉભા કર્યા છે.