દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા તેને ૨૪ વર્ષ પૂર્ણ થયા છે. જેની સંકલ્પ સિદ્ધિની ગાથા જન-જનમાં ઉજાગર કરવા માટે હાલમાં સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહ – ૨૦૨૫ની ઉજવણી થઈ રહી છે. પ્રધાનમંત્રીના સક્ષમ નેતૃત્વ હેઠળ છેલ્લા ૨૪ વર્ષમાં ગુજરાતના યુવાનો કૌશલ્ય વિકાસ થકી રોજગારની વિપુલ તકો મેળવી સશક્ત બન્યા છે. છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી તાલુકામાં શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા આઈ.ટી.આઈ જેતપુર પાવી ખાતે યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સભારંભ જિલ્લા પંચાયત મલકાબહેનના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.આ સભારંભમાં યુવાઓને રોજગાર એનાયત પત્ર,પ્રોવિઝનલ ઓફર લેટર આપવામાં આવ્યા હતા. આઈટીઆઈ અપગ્રેડેશન માટે ઉદ્યોગો સાથે એમ.ઓ.યુ કરવામાં આવ્યા હતા. ઔધોગિક ભરતી મેળા થકી રોજગાર આપનાર રોજગાર દાતાઓનું પ્રશસ્તિપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં ૪૬૦થી વધુ રોજગાર વાંચ્છુકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ યુવાઓને રોજગાર મેળાનો મહત્મલાભ લેવા જણાવ્યુ હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન ઉપસ્થિત રહી આઈટીઆઈનું નિરીક્ષણ કર્યું હતું. આ સમારંભમાં જેતપુરપાવી મામલતદાર સોનાલી ઓઝા, જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને ઔધોગિક તાલીમ સંસ્થાઓના આચાર્યશ્રી, અધિકારીગણ અને રોજગાર વાંચ્છુકો ઉપસ્થિત રહ્યા હતા.