
સુરત શહેર ના અડાજણ પાલ ખાતે રહેતા અને જૈન ઉપકરણનો સામાન વેચતા વેપારીને મંદિરનું માપ લેવાના બહાને ઘરે બોલાવી બાદમાં તેની સાથે હનીટ્રેપ કરવામાં આવ્યું હતું. બાદમાં મામલો રફેદફે કરવા માટે ૧૫ લાખ રૂપિયા પડાવ્યા હતા. બાદમાં આ વાત ની જાણ સાહેબને થઇ ગઈ છે તેથી બીજા ૧૫ લાખ રૂપિયા આપવા પડશે તેમ જણાવીને બીજા ૨ લાખ રૂપિયા મળી ને કુલ ૧૭ લાખ રૂપિયા પડાવ્યા હતા. વેપારીએ આ અંગે પોલીસ સ્ટેશન મા ગુનો નોંધાવતા ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. ક્રાઇમ બ્રાન્ચ ને બાતમી મળતાં આ ચારેય આરોપીઓ ને બાતમીના આધારે નવસારીના કેવલ ફાર્મ હાઉસ માંથી ઝડપી પાડયા હતા. પકડાયેલા આરોપીઓ રમેશ ઉર્ફે રામ નાવડીયા ઉ. વ.૪૨, રાહુલ કથીરીયા ઉ. વ.૪૨, માંથા ભગાભાઇ સઈડા ઉ. વ.૩૧, કેતન મગનભાઈ ભાદાણી ઉ. વ.૩૪, ની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીઓ દેહવિક્રયનો ધંધો કરતી મહિલાઓ સાથે મળીને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ને ટાર્ગેટ કરીને બપોરના સમયે કોઈ પણ બહાને ઘરે બોલાવી બાદમાં તેની સાથે હનીટ્રેપ નો માહોલ ઉભો કરી પોતે પીઆઇ છે અને બીજો પત્રકાર છે તેવું બતાવી મામલો રફેદફે કરવા માટે મોટી રકમ ની માંગણી કરતા હતા. આરોપીઓ પાસેથી નકલી પીઆઈ અને નકલી પ્રેસ નું કાર્ડ પણ મળી આવ્યા હતા. તેઓની પાસેથી કુલ ૧૧ લાખ રૂપિયા નો મુદ્દામાલ કબજે કરવા મા આવ્યો છે.
