
દિવ્યાંગજન અને વરિષ્ઠજનોને નિશુલ્ક કુત્રિમ અંગ અને સાધન સહાય આપવા માટે ભારત સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ ખેડા જિલ્લામાં નડિયાદ મુકામે ભારતીય કુત્રિમ અંગ નિર્માણ નિગમ (ALIMCO) ની અધિકૃત વેચાણ અને રીપેર એજન્સી- આસરા કેન્દ્ર નો શુભારંભ થયેલ છે.
ખેડા જીલ્લાના દિવ્યાંગજનોને કૃત્રિમ અંગો અને સહાયક ઉપકરણો સરળતાથી ઉપલબ્ધ કરાવવા અને તેમના નજીકના વિસ્તારમાં મોટરાઈઝ્ડ ટ્રાઈસાઈકલ અને વિવિધ સહાયક ઉપકરણોની રિપેરીંગની સુવિધા સરળતા થી મળી રહે તે હેતુ થી ભારત સરકાર દ્વારા નડિયાદમાં આસરા કેન્દ્રની સ્થાપના “માં ગાયત્રી ઓર્થો કેયર”, ૧૦૨, શિવાલિક કોમ્પ્લેક્સ, પારેખ હોસ્પિટલ પાસે, સરદાર પટેલ ઓવર બ્રીજ નીચે, પેટલાદ રોડ, નડીઆદ ખાતે શરૂ કરવામાં આવી છે.
આ કેન્દ્રમાં દિવ્યાંગજનો અને સિનિયર સિટીજન માટે ઉપયોગી જરૂરી સહાયક ઉપકરણો જેવા કે કૃત્રિમ હાથ, પગ, બગલ ઘોડી, વોકર, વોકિંગ સ્ટીક, ટ્રાઇસાઇકલ, વ્હીલ ચેર, કાનનું મશીન, ચશ્મા, કૃત્રિમ દાંત વગેરે સાધન સહાય તદન મફત અને સરળતા થી મળશે. 80 ટકા થી વધારે દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને બેટરી સંચાલિત મોટર વાળી ટ્રાઈસાયકલ પણ મળશે. આ કેન્દ્ર ના શુભારંભ થયેથી હવે કોઈ પણ દિવ્યાંગજનો કે સિનિયર સિટીજન ને સાધન સહાય મેળવા માટે કેમ્પ ની અથવા કોઈ સંસ્થા કે દાતા ની રાહ જોવી નહી પડે. આ આસરા કેન્દ્રની સ્થાપના કાયમી ધોરણે કરવામાં આવેલ છે જેથી કોઈ પણ દિવ્યાંગજન અથવા જરૂરિયાતમંદ સિનિયર સિટીજન ગમે તે દિવસ ઓફિસ સમય દરમ્યાન આ આસરા કેન્દ્રમાં જાઈને પોતાનુ રજીસ્ટ્રેશન કરાવીને નિષ્ણાત તજજ્ઞો દ્વારા તપાસ કરાયા પછી જરૂરિયાત મુજબની સાધન સહાય તદન મફત મેળવી શકે છે. તે પછી પણ કોઈ પણ સાધનોમાં રિપેરિંગની જરૂર પડે તો રિપેરિંગની સુવિધા પણ આ આસરા કેન્દ્ર પર મળશે.
આ સાધન સહાય ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના દિવ્યાંગજનો માટે એડીપ (ADIP) અને સિનિયર સિટીજન માટે રાષ્ટ્રીય વયોશ્રી યોજના (RVY) હેઠળ ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ (ALIMCO) દ્વારા તદન મફત મળે છે.
આસરા કેન્દ્રના ડાયરેક્ટર ડો. ચંદ્રગોપાલ જે પોતે કૃત્રિમ અંગના નિષ્ણાંત છે અને છેલ્લા ૧૮ વર્ષોથી નડિયાદ ખાતે દિવ્યાંગજનો માટે કૃત્રિમ અંગ અને સહાયક ઉપકરણોનું નિર્માણ કરી સમગ્ર દેશમાં એલીમકો દ્વારા કેમ્પોના આયોજન કરી સાધન સહાય નિશુલ્ક વિતરણ કરે છે. તેઓએ જણાવેલ કે “આસરા કેન્દ્ર” ખેડા- નડીઆદ દ્વારા તા.૧૦/૦૨/૨૦૨૪ ના રોજ નડીઆદ તાલુકાના લાભાર્થીઓના રજીસ્ટ્રેશન તથા ડૉક્ટરી તપાસ (એસેસમેન્ટ) કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જે કેમ્પ માં ૨૫૦ જેટલા દિવ્યંગજનો તથા ૧૦૦ જેટલા વરિષ્ઠ નાગરિકો એ લાભ લીધેલ છે. તેઓને ટૂંક સમય માં તેઓને તેમની જરૂરીયાત મુજબના સહાયક ઉપકરણ સાધન સહાય નું નિશુલ્ક વિતરણ કરવામાં આવનાર છે.
આસરા ખેડાના કોર્ડિનેટરશ્રી રાકેશ ચાવડા જણાવેલ કે “આસરા કેન્દ્ર” ખેડા-નડીઆદ ખાતે સમગ્ર વર્ષ દરમ્યાન નોંધણી તેમજ એસેસમેન્ટ બાદ સહાયક ઉપકરણ સાધન સહાય વિતરણનું કાર્ય ચાલુ રહેશે અને વધુ લાભાર્થીઓને લાભ મળે તેના માટે જિલ્લાના તમામ તાલુકા કક્ષાએ કેમ્પોનું આયોજન પણ કરવામાં આવનાર છે.
0000000